મોરબી : ત્રાજપર ગામે બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું

ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાના લાભોથી લાભાન્વિત કરાયા

સમગ્ર રાજ્યમાં ગામે ગામ અને ઘર ઘર સુધી જરૂરિયાતમંદ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જે અન્વયે મોરબી તાલુકાના ત્રાજપર ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામની બાળાઓએ ઉત્સાહભેર રથને કંકુ ચાંદલા કરી આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયે રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી આ સંકલ્પ યાત્રા અંગે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શન નિહાળ્યું હતું. ખારી-ત્રાજપર પ્રાથમિક શાળાની બાળાઓએ ધરતી કહે પુકાર કે ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું અને બાળાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી અને પ્રકૃતિ સંવર્ધનનો સંદેશો આપતા નાટકે સૌને એક સુંદર સંદેશ આપ્યો હતો અને સૌનું મન પણ મોહી લીધું હતું.

આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, આયુષ્માન કાર્ડ, ટીબી નિક્ષય, ઉજ્જ્વલા યોજના વગેરેના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. આ ઉપરાંત ગ્રામજનોને ઉજ્જ્વલા યોજના, આયુષ્માન કાર્ડ વગેરે લાભોથી લાભાન્વિત કરાયા હતા. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે સરપંચ તેમજ તલાટી મંત્રી જયરાજસિંહ જાડેજાને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

        કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના સરપંચ, ત્રાજપર, ત્રાજપર-ખારી અને કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના શિક્ષકઓ અને સ્ટાફ, જન પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.