ટંકારા : ઓટાળા ગામની બાળાઓએ ફુલડેથી વધાવ્યો  વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ

દરેક વ્યક્તિને સરકારી યોજનાઓથી રૂબરૂ કરાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યો ઓટાળા ગામ

સરકારની વિવિધ યોજનાઓનો લાભ તમામ ગામો સુધી પહોંચી શકેતે માટે અમે ગામડાઓ ખુંદી રહ્યા છીએ. -ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

સમગ્ર દેશના ખુણે ખુણાનું ગામડું વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનાં લાભને ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આજે ટંકારા તાલુકાના ઓટાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોક કલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા.

આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ દેશના લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે અને તેમની આ યોજનાઓનો લાભ તમામ ગામો સુધી પહોંચી શકે તે માટે અમે ગામડાઓ ખુંદી રહ્યા છીએ. આ રથ થકી કેન્દ્ર સરકારની ૧૭ યોજનાના લાભ વંચિતો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.”

આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.

ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે ઓટાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અગ્રણી સર્વ અશોકભાઈ ચાવડા, દિનેશભાઈ વાઘડિયા, ભાવિનભાઈ, ઓટાળા ગામના ઉપસરપંચ તથા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અને ઓટાળાના ગ્રામજનો જોડાયા હતા.