મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ગ્રામજનો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સહભાગી થવા સંકલ્પબદ્ધ બન્યા

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબીના લખધીરનગર ગામે રથનું આગમન થયું હતું. જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સરકારની યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌને શક્ય તમામ પ્રયાસ કરવા જણાવ્યું હતું.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સરકારની આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓ આજે કેવી રીતે દરેક પરિવાર માટે આશીર્વાદ બની ગઈ છે તે બાબતે વિગતે વાત કરી હતી. પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સમણાને સાકાર કરવા આપણે પ્રતિબધ બનીએ એવા અનુરોધ સાથે ‘આપણો સંકલ્પ વિકસિત ભારત’નો નારો બોલાવી લોકોને સહભાગી બનવા આહ્વાહન કર્યું હતું.

આ પ્રસંગે લખધીરનગરના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, ઉજ્જવલા યોજના,વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લખધીરનગર ગામના આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.