મોરબી : નવદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા તા.૨૮/૩/૨૦૨૨ થી લેવામાં આવનાર બોર્ડની પરીક્ષાના અનુસંધાને શાળામાં વિદ્યાર્થીઓનો માર્ગદર્શન તેમજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ શાળા બહાર પ્રથમ વખત શહેરની અન્ય શાળામાં પરીક્ષા આપવા જવાના હોવાથી કોઈ પણ જાતના ગભરાટ કે મુંજવણ વગર બોર્ડની પરીક્ષા આપવા બાબતે શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવરે માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષાના પેપરો કેવી રીતે લખવાં તેમજ વર્ગ ખંડમાં પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી તરીકે કઈ કઈ કાળજીઓ રાખવી તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો.

વિદાય સમારંભના અંતે સ્મૃતિ સ્વરૂપે સમૂહ ફોટો પાડી તમામ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવરે તથા શિક્ષકો દક્ષાબેન, દિલીપભાઈ, મહેશભાઈ, ચેતનભાઈ, ચિંતનભાઈ, નીતાબેન, નિલમબેન, પૂજાબેન, ભાવનાબેન, કૃપાબેન સર્વેએ પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.