મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૫ ટકા જેટલું ખરીફ પાકોનું વાવેતર; સૌથી વધુ ૯૬ ટકા ટંકારા તાલુકામાં

૧.૫૧ લાખ હેક્ટરમાં કપાસ તેમજ ૬૬ હજાર હેક્ટરમાં મગફળી સાથે કુલ અંદાજિત ૨.૩૩ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા પર પણ મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા છે. માળિયા તાલુકાને બાદ કરતા મોરબી જિલ્લાના ૪ તાલુકામાં વાવણી લાયક વરસાદ રૂપે કાચું સોનું વરસ્યું છે. વરસાદથી તૃપ્ત બની વાતાવરણ જાણે આળસ ખંખેરી ઉભું થયું છે અને અહલાદક બની ગયું છે. આ નયનરમ્ય અને મનોહર વાતાવરણમાં અને અષાઢી બીજના પર્વનો ઉમંગ ત્યારે મોરબી જિલ્લામાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.

મોરબી જિલ્લામાં મેહુલિયે મહેર કરી છે. મોરબીમાં ૨૫૬mm, ટંકારામાં ૩૨૦mm, હળવદમાં ૧૬૩mm, વાંકાનેરમાં ૧૧૯mm અને માળિયામાં ૩૪mm વરસાદ વરસ્યો છે. માળિયા સિવાય સમગ્ર પંથકમાં વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે અને સારા વરસાદના પગલે ધરતીપુત્રો વાવણીમાં ઉત્સાહભેર વ્યસ્ત બન્યા છે. મોરબી જિલ્લામાં ખેડવાલાયક જમીનના અંદાજિત ૭૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૩ વર્ષની સરેરાશ ખેડવા લાયક કુલ ૩.૧૫ લાખ હેક્ટર વિસ્તારમાંથી અંદાજિત કુલ ૨.૩૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે અંદાજિત ૭૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

તુલનાત્મક અભ્યાસની દ્રષ્ટીએ જોઈએ તો ગયા વર્ષે આ દિવસોમાં અંદાજિત ૯૦ ટકા જેટલું વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે હાલ આજ સુધીમાં ૭૫ ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે. ગત વર્ષે આ દિવસો સુધીમાં અંદાજિત ૫૫ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ અત્યાર સુધીમાં અંદાજિત ૬૬ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ચુક્યું છે.

વાવણી કરાયેલા પાકોની વિગતે વાત કરીએ તો, અંદાજે ૨૨૩ હેક્ટરમાં તુવેર, ૧૨૦ હેક્ટરમાં મગ, ૩૨૪ હેક્ટરમાં અડદ, ૬૫,૯૫૦ હેક્ટરમાં મગફળી, ૧૬૩ હેક્ટરમાં તલ, ૫૨૦ હેક્ટરમાં સોયાબીન, ૧,૩૦,૯૫૫ હેક્ટરમાં કપાસ (પિયત), ૨૩,૨૬૦ હેક્ટરમાં કપાસ (બિનપિયત), ૧૨૮૭ હેક્ટરમાં શાકભાજી, ૧૦,૩૪૦ હેક્ટરમાં ઘાસચારો તથા ૭૦ હેક્ટરમાં શેરડી વગેરે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ વાવણી અન્વયે હળવદ તાલુકામાં ૭૧,૨૨૦ હેક્ટર એટલે કે ૮૮ ટકા, મોરબી તાલુકામાં ૬૨,૫૮૦ હેક્ટર એટલે કે ૮૦ ટકા, ટંકારા તાલુકામાં ૪૦,૧૯૦ હેક્ટર એટલે કે ૯૬.૫ ટકા, વાંકાનેર તાલુકામાં ૫૦,૭૧૯ હેક્ટર એટલે કે ૯૦.૭ ટકા અને માળિયા(મિ)‌ તાલુકામાં ૮૫૦૩ હેક્ટર એટલે કે ૧૭.૬ ટકા મળી કુલ ૨,૩૩,૨૧૨ હેક્ટર એમ ૭૫ ટકા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. આવતા દિવસોમાં સારા વરસાદના પગલે બાકી વિસ્તારમાં પણ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવનાર છે.