શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કલ્યાણકારી યોજના; મળશે ૨૦ હજારની સહાય

મોરબી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ I-Khedut Portal  પર ૧૩ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવી

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની નવી જાહેર થયેલી યોજના “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના સરકારશ્રીના કાર્યક્રમ” અંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહતમ રૂ. ૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે.

ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા ૦.૨૦ હેકટર થી મહત્તમ ૨.૦૦ હેકટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની યાદી/આત્માના FIG માં સમાવિષ્ટ ખેડૂતને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

આ ઘટકમાં સહાય મેળવવા તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી માં I-Khedut Portal  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરી અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી ખાતે અચુક રજુ કરવા જણાવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના ફોન નં: ૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક કરી શકાશે જેની સર્વે ખેડુતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.