મોરબીમાં માળિયાના ફતેપર ગામથી ૪૫ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

મોરબી જિલ્લાના મચ્છુ-૧, મચ્છુ-૨ તથા મચ્છુ-૩ ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં મચ્છુ નદીનું પાણી ઘુસી જતા અનેક સ્થળોએ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જાનમાલની સુરક્ષા અર્થે લોકોને સમજાવીને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે.

ત્યારે મોરબી જિલ્લામાં માળીયાના નિચાણવાળા ગામડાઓમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર સહિતના સાધનોની વ્યવસ્થા કરી ફતેપર ગામથી ૪૫ જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આશ્રયસ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલા લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.