સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે

૩ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ થશે; નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી જરૂરી

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે. કેન્દ્ર  સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે  રૂ. ૬,૭૮૩( રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે  રૂ. ૮,૬૮૨( રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે  રૂ. ૭,૪૦૦( રૂ.૧૪૮૦ પ્રતિ મણ) અને સોયાબીન રૂ. ૪,૮૯૨ ( રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૧૧/૧૧/૨૦૨૪થી ૦૮/૦૨/૨૦૨૫ સુધી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરી શકાશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.