મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામયી ઉપસ્થિતિમાં મોરબીને મળશે કરોડોના વિકાસ કાર્યોનું નજરાણું

આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારવા તમામ મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી મોરબી ખાતે પધારનાર છે, ત્યારે તેમના કાર્યક્રમ અનુસંધાને ગત ૨૪ માર્ચના રોજ સાંજે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમના સ્થળ પર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી તથા કાર્યક્રમ સ્થળ પર કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત હેલીપેડની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.

મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો થકી વિકાસની ગતિ ઝડપી બની છે. હાલ અનેક નવા પ્રકલ્પો મોરબીમાં આકાર પામી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરોડોની રકમના મહત્વના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. મોરબીને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ત્યારે આ ઘડીના સાક્ષી બનવા માટે તમામ જિલ્લાવાસીઓને આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.