માનદ વેતનથી હંગામી ધોરણે નોકરી કરવા ઇચ્છુકોએ ૨૬ મે સુધીમાં અરજી કરવી
મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રમાં ૧૧ વ્યવસ્થાપક(સંચાલક), ૮ રસોઈયા તથા ૮ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સંપૂર્ણ વિગતો સાથે મધ્યાહન ભોજન શાખા, મોરબી મામલતદારશ્રીની કચેરીએ ૨૬/૦૫/૨૦૨૫ સુધીમાં પહોંચે તે રીતે રજૂ કરવાનું રહેશે. આ અરજી અન્વયે જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે મોરબી મામલતદાર કચેરીએ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.





આ ભરતી અન્વયે મશાલવાડી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જેપુર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, વિરપરડા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, માનસર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, નારણકા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કૃષ્ણનગર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જીવાપર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, પીલુડી પ્રાથમિક શાળા ૧ સંચાલક, ગીડચ પ્રાથમિક શાળા ૧ સંચાલક, ઊંટબેટ શામપર પ્રાથમિક શાળા ૧ સંચાલક, મળી ૨૭ કર્મચારીઓની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે.
મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી. આ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉંમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ) આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, આવકનો દાખલો સહિતના જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
સંચાલક, રસોઈયા અને મદદનીશ તરીકે સ્થાનિક સંસ્થા (પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલીકા)માં ચૂંટાયેલા અથવા હોદો ધરાવતા હોય કે સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા કર્મચારી કે તેના પતિ/પત્ની/પુત્રો કે આશ્રીતો, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ/પત્ની/પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, અનાજ દળવાની ઘંટી ચલાવતી હોય તેવી વ્યકિત, શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી, કોઈપણ જગ્યાએ માનદ વેતન મેળવતી, હોમગાર્ડઝમાં ફરજ બજાવતી, રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલ કોઈ રૂખસદ આપેલ હોય કે બરતરફ કરેલી વ્યક્તિ, સસ્તા અનાજની દુકાન ધારણ કરતા કે સંચાલક/રસોઇયા/મદદનીશ તરીકે નિમણુંક મેળવવા માટે અન્ય કોઈ કારણોસર પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યક્તિ, કોઈપણ ગુનાહિત કાર્ય કરેલ હોય કે તેની સાથે સંકળાયેલ હોય, પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમય ગેરરીતી સંબંધ કસૂરવાર ઠરેલ હોય તેવી વ્યક્તિ, અગાઉ મધ્યાન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતિ સંબંધે છુટા કરેલ હોય તેવી વ્યક્તિ અને વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
વધુ માહિતી માટે મોરબી મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખાનો સંપર્ક કરવા મોરબી મામલતદારની યાદીમાં જણાવાયું છે.
