મોરબીના રવાપર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ‘મેનસ્ટ્રુઅલ હાઈજિન ડે’ ની ઉજવણી કરાઈ

૨૮ મે – ‘મેનસ્ટ્રુઅલ હાઈજિન ડે’ નિમિતે રાજપર પ્રાથમિક આરોગ્ય કેંદ્રના તાબા હેઠળના રવાપર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મહિલાઓમાં માસિક ચક્ર દરમિયાન સફાઈ અને સ્વચ્છતા અંગેની જાગૃતિ સંદેશ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ રાજપર પ્રાથમિક આરોગ્ય કેંદ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો.હિરલ સનારીયા અને રવાપર આયુષ્માન આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતાના મહત્વ વિશે વિગતે માહિતી  આપવામાં આવી હતી. વધુમાં મહિલાઓને પેડનો યોગ્ય ઉપયોગ, નિકાલ અને વૈજ્ઞાનિક રીતોથી સ્વચ્છ રહેવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા મહિલાઓ અને યુવતીઓને મફતમાં સેનિટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કિશોરીઓની એનેમિયા (લોહિના ટકા) ની તપાસ, વજન અને ઉંચાઇ કરવામાં આવી હતી.

આ તકે મોરબી તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા, ટી.એચ.વી.અંજુબેન, એફ.એચ.એસ. ગીતાબેન અને રવાપર આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનીટી હેલ્થ ઓફિસર પ્રગ્નેશ પટેલ દ્વારા ઉપસ્થિત તમામને જાગૃતિ દાખવવા તથા અન્ય મહિલાઓને જાગૃત કરવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ, સ્થાનિક યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.