મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સેટ સહિતની વસ્તુઓ આપી ફાધર્સ ડેની ઉજવણી

પિતા ભલે સંતાન પ્રત્યે ભાવના વ્યકત ન કરે પણ એના હૃદયમાં સંતાન પ્રત્યે પ્રેમનો ઊંડો સમુદ્ર છુપાયેલો હોવાનો સમાજને મેસેજ આપ્યો

મોરબી : મોરબીમાં દરેક પર્વની પ્રેરણાદાયી ઉજવણી માટે રોલ મોડેલ બનેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પિતા પ્રત્યે આત્મીયની લાગણી દર્શાવતા પર્વ ફાધર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતાનની અવહેલનાનો ભોગ બનેલા શહેરના વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સેટ સહિતની વસ્તુઓ આપી યંગ ઇન્ડિયા ગ્રુપે ફાધર્સ ડેની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમજ આ વડીલો સાથે આત્મીયતા કેળવી પિતા ભલે સંતાન પ્રત્યે ભાવના વ્યકત ન કરે પણ એના હૃદયમાં સંતાન પ્રત્યે પ્રેમનો ઊંડો સમુદ્ર છુપાયેલો હોવાનો સમાજને મેસેજ આપ્યો છે.

મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આજે ફાધર્સ ડેના અવસરે વૃદ્ધાશ્રમમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ પિતાઓને સન્માન આપવા અને તેમની સાર સંભાળ રાખવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય કિટ અને કપડાંના સેટ સહિતની જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રૂપે વૃદ્ધોના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમને સમાજમાં મહત્વનું સ્થાન આપવાનો પ્રયાસ કર્યો હતો.

વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને પોતાના જ વડીલ સમજીને યંગ ઈન્ડિયા ગ્રૂપના તમામ સભ્યોએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. તેમની સાથે મન મૂકીને વાતચીત કરી હતી અને તેમના અનુભવોને સાંભળ્યા હતા. ફાધર્સ ડેની ઉજવણી દરમિયાન વૃદ્ધોને આપવામાં આવેલી સ્વાસ્થ્ય કિટમાં આરોગ્ય સંબંધિત જરૂરી ચીજવસ્તુઓ અને કપડાંના સેટનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવાનો છે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં વૃદ્ધો માટે મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરાઈ ગયું હતું અને આ ઉજવણીથી વૃદ્ધાશ્રમના વડીલોએ પણ પોતાની બેરંગ દુનિયા છોડીને જીવન જીવવા પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે.

આ તકે યંગ ઈન્ડિયા ગ્રૂપના સંસ્થાપક ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તેમની આ સંસ્થાના આ પ્રયાસે સમાજમાં વૃદ્ધો પ્રત્યે સેવાભાવ અને સન્માનનું મહત્વ દર્શાવ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા યુવાનો અને વૃદ્ધો વચ્ચેનું અંતર ઘટાડવાનો અને સમાજમાં એકતાની ભાવના વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉજવણીએ વૃદ્ધ પિતાઓને માત્ર ભૌતિક સહાય જ નહીં, પરંતુ ભાવનાત્મક ટેકો અને સન્માન પણ પ્રદાન કર્યું છે.