મોરબી : લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના પડતર પ્રશ્નોના નિકાલ માટે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે નિર્મિત ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્ય પત્રિત અધીકારી મંડળ (જીઈસિટીજીઓએ) દ્વારા પડતર પ્રશ્નો અંગે અનેક રજુઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલની દિશામાં સરકાર દ્વારા કાર્યવાહી ન કરતા આકરા પાણીએ થઈ મંડળ દ્વારા ૧૪ એપ્રિલથી સરકારને પ્રદર્શન અંગે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેના ભાગરૂપે પડતર પ્રશ્નોના નિરાકરણ અભિયાન હેઠળ મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ કર્મચારીઓએ પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા સંગઠિત થઈ આકરા સુત્રોચ્ચાર કર્યા હતા અને સામુહિક ચર્ચા ગોઠવી હતી.

આ તકે (સી એ એસ)ની દરખાસ્તનો મુખ્ય મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ૨૦૧૬ પછી મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક ધોરણે મળે એ માટે કર્મચારીઓએ પ્રદર્શન કરી માંગ ઉઠાવી હતી. વધુમાં પેન્શન બંધારણ અધિકાર દિવસની ઉજવણી સાથે કર્મચારીઓની બદલીમાં પારદર્શિતાની અવગણના, નિયમાનુસાર બઢતીના કિસ્સામાં અકારણ વિલંબ, શિક્ષણ વિભાગ અને (એ આઇ સી ટી ઈ) દ્વારા નિયત કાર્યભાર વચ્ચેની વિસંગતતા જેવાં મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સંસ્થા ખાતે વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મીઓની અછતના કારણે ખાતાકીય અને શૈક્ષણિક કામમાં થતી વિલંબતાની પણ ચર્ચા કરાઈ હતી. (ક્યું આઇ પી) અંતર્ગત સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોને આઇ આઇ ટી, એન આઇ ટી જેવી સંસ્થાઓમાં પીએચડી સંશોધન માટે પ્રોત્સાહન મળે તે માટે પૂરા પગાર સાથે સ્ટડી લીવ અને પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) ની પરવાનગી જેવા મુદ્દાઓની સાથે સાથે એડહોક સેવાને નિયમિત નિમણૂક સાથે સળંગ કરવા યોગ્ય કાર્યવાહીની પણ રજુઆત કરાઈ હતી.