વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે. અને મૃત્યુ પણ થઇ શકે છે. ચાંદીપુરા એન્કેફેલાયટીસના લક્ષણોમાં સખત તાવ આવવો, ઉબકા-ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું અને નબળાઈ આવવી વગેરે લક્ષણો જોવા મળે છે.





ચાંદીપુરા એન્કેફેલાયટીસ સામાન્ય રીતે ચેપગ્રસ્ત સેન્ડફ્લાય(રેતીની માખી)ના કરડવાથી બ્લડ માં વાયરસ પહોચતા એનો ચેપ ફેલાય છે. ૦ થી ૧૪ વર્ષની ઉમર વચ્ચેના બાળકો, Chronic illness ધરાવતી વ્યક્તિઓ અને વૃદ્ધાવસ્થા ધરાવતી વ્યક્તિઓને ચાંદીપુરા એન્કેફેલાયટીસ થવાનું જોખમ વધુ રહે છે.
સેન્ડફ્લાય મુખ્યત્વે લીપણવારા કાચા મકાનો તેમજ દીવાલોની તિરાડ અને છિદ્રો માં રહે છે જેથી આ છિદ્રો અને તિરાડ સિમેન્ટ થી પૂરી નાખવી પડે. ઘરની અંદર ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરવી. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો અને બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહિ. લાંબી બાયના કપડા પહેરવા તથા બાળકોને સુવડાવવા જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો. જ્યાં મચ્છર-માખી ઉત્પન્ન થાય છે ત્યાં પાણી ને દુર કરવું વગેરે પગલાથી ચાંદીપુરા એન્કેફેલાયટીસ વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.
ચાંદીપુરા એન્કેફેલાયટીસની સારવારની વાત કરીએ તો, કોઈ વિશિષ્ટ એન્ટી વાયરલ સારવાર નથી. સારવાર મુખ્યત્વે દર્દીની પરિસ્થિતિ પર નિર્ભર છે. જો કોઈ દર્દીમાં ચાંદીપુરા એન્કેફેલાયટીસના ઉપરોક્ત જણાવ્યા મુજબના લક્ષણો દેખાય તો તાત્કાલિક જિલ્લાની સરકારી હોસ્પિટલ અથવા મેડીકલ કોલેજમાં સારવાર માટે પહોંચી જવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો, કે.પી. શ્રીવાસ્તવની યાદીમાં જણાવાયું છે.
