મોરબી જિલ્લામાં હમીરપર તથા નવા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિરોને મળ્યા રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર આરોગ્ય ક્ષેત્રે સુધારણા સાથે જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ગુણવતાના વધુ ઉચ્ચ માપદંડો પ્રાપ્ત કરે તે માટે સતત પ્રયત્નશીલ

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના હમીરપર તથા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ક્રમશ: ૯૫.૨૫ ટકા અને ૯૨.૩૮ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત આપવામાં આવ્યા છે. આ સિદ્ધી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના હમીરપર આયુષ્માન આરોગ્ય મંદિર તથા નવા રોહિશાળા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુષંધાને બંન્ને આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.

આ સિધ્ધિ આરોગ્ય કેંદ્રોમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના અન્ય વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણીત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી અને આ પ્રકારના ગુણવતા માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ રહેશે.

ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.હાર્દિક રંગપરિયા, ટંકારા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડી.જી.બાવરવા મેડિકલ ઓફિસર ડો. ઈશા બગડાઈ દ્વારા બંન્ને આયુષ્માન આરોગ્ય મંદિરના તમામ સ્ટાફ્ને આ સિદ્ધી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.