મોરબીને રૂ.૧૪૪૭ લાખથી વધુના વિકાસકામોની ભેટ મળશે

મોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે; કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આદિવાસી/આદિજાતિ સમુદાયના લોકો તેમજ સમગ્ર મોરબીવાસીઓને જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં ૧૫/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાને ૧૪૪૭ લાખથી વધુની રકમના ૮૧ વિકાસ કામોની ભેટ મળનાર છે. આ વિકાસ કામોમાં ૩૯૭.૩૦ લાખના ૨૭ કામોનું ખાતમુહૂર્ત અને ૧૦૪૯.૭૬ લાખના ૫૪ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

મોરબી ખાતે યોજાનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત હસ્તકના અંદાજે રૂ. ૭૫ લાખથી વધુ રકમના ૨૩ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૦ લાખથી વધુ રકમના ૩૭ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગના અંદાજે રૂ. ૯૩૯ લાખથી વધુ રકમના ૧૭ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના અંદાજે રૂ. ૩૨૨ લાખના ૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લામાં નિવાસ કરતા આદિવાસી/આદિજાતિ સમુદાયના લોકો તેમજ મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.