મોરબીમાં ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ’ અન્વયે ભવ્ય ઉજવણી કરાશે

૭ દિવસીય મેળા તેમજ પ્રદર્શન કાર્યક્રમની પૂર્વ તૈયારી અંગે કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ’ અન્વયે ૩૦ મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટરએ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી, ડોમ તેમજ કાર્યક્રમના આયોજન અંગે તમામ વ્યવસ્થાઓ જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા. ઉપરાંત મેળા તેમજ પ્રદર્શન માટે સંલગ્ન વિભાગોને સુચારુ આયોજન કરવા તથા યુવા અને સાંસ્કૃતિક વિભાગને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા અંગે વિવિધ સુચનો કર્યા હતા.

        ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત ‘૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ’ અન્વયે ૭ દિવસીય મેળા તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૦મી જૂનથી યોજાનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસના માર્ગે ભરેલી હરણફાળનું પ્રદર્શન તેમજ સખીમંડળ દ્વારા વેચાણસ્ટોલનું ૭ દિવસ માટે આયોજન કરવામાં આવનાર છે.

આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે.ભગદેવ ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, ડીવાયએસપી એમ.આઈ.પઠાણ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.