ટંકારા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ ૪ જૂનના યોજાશે

કારકિર્દી માર્ગદર્શન ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પથદર્શક સમાન બની રહેશે

        રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને તાલુકાકક્ષાએ પણ તેમની કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તથા કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તેવા હેતુથી તાલુકાકક્ષાએ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આગામી ૪ જૂનના ટંકારાની શ્રી એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાશે.

વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે ‘નવી દિશા નવું ફલક’ નવી પહેલ શરૂ કરી છે, જેના ભાગરૂપે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી તાલુકાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુષ્પાબેન કામરીયાના અધ્યક્ષસ્થાને ટંકારા ખાતે શ્રી એમ.પી. દોશી વિદ્યાલયના આંગણે કરવામાં આવશે.

કારકિર્દી માર્ગદર્શન અંગેના આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવિધ કોર્ષને લગતું માર્ગદર્શન પ્રશાંતભાઇ પરમાર આપશે તથા આઈટીઆઈ સંબંધિત અભ્યાસક્રમની માહિતી શ્રી ડી.એસ. દોશી આપશે.

તાલુકાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, શિક્ષણ નિરીક્ષક પી.વી. અંબારીયા તથા અગ્રણી સર્વ નથુભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા, ભુપતભાઈ ગોધાણી, ગોરધનભાઈ ખોખાણી, લાલજીભાઈ કગથરા, સુરેશભાઈ સરસાવડીયા, યોગેશભાઈ ઘેટીયા, વિજયભાઈ ભાડજા વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને વાલીઓને લાભ લેવા મદદનીશ શિક્ષણ નિરીક્ષક ભાવેશભાઇ એલ. ભાલોડીયા તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલના દિલિપભાઇ બારૈયા તેમજ રજનીકાંત પી. મેરજા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.