પાણી- ધાતુની વસ્તુઓ -ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે તેથી તેનાથી દૂર રહો તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધો નહિ
હાલમાં વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે હાલની ઋતુમાં લોકોને જાગૃતિના પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા રાહત નિયામકશ્રી, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબની મર્ગદર્શિકાનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે..
આકાશીય વીજળી સમયે જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે.
- વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.
- તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.
- બારી-બારણા અને છતથી દુર રહેવું.
- વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું.
- ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.
આકાશીય વીજળી સમયે જો આપણે ઘરની બહાર હોવ ત્યારે
- ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું.
- આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
- ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.
- મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી જરૂર પડે મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવો.
- મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
- પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
- ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.
વિજળી પડવાની શકયતા
- જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી
- લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
- મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
- કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
- કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ર્ડાકટરને જાણ કરવી.
- દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાડવું નહી.
- આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
આકાશી વિજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ
- વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦ નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા ક્ડાકા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.
- ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો.
- વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા.
- ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા.
- વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું.
- તંત્રની સુચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
- શોર્ટસર્કીંટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચો વાપરવી.
- ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ.
- ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું.
- ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળી અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
- ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
- ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું.
- તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
- ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.
- ઈલેકટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.
- વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.
- તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.
- બારી-બારણા અને છતથી દુર રહેવું. વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું.
- ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.
મોરબી જિલ્લાવહીવટી તંત્ર દ્વારા આ મુજબની સાવધાની રાખવાની વિગતો જનતાને જણાવવામાં આવી છે તથા તેનું પાલન કરી સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.