રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરાજાના સઘન પ્રયાસોથી ખેડુતોને સિંચાઈ માટે નીર મળ્યા

નર્મદાની મોરબી, માળિયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા બદલ મુખ્યંત્રીનો આભાર માનતા રાજ્યમંત્રી, માળિયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાયું

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી માળિયા અને ધ્રાગંધ્રા વિસ્તારના ખેડુતોની સિંચાઈ માટે પાણીની માંગણીને ધ્યાને લઈ અવાર – નવાર રજૂઆતો કરી હતી.જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મોરબી, માળિયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેરશ્રી, મેનેજિંગ ડિરેક્ટર, ચેરમેન, જળ સંપત્તિ મંત્રી, નર્મદા રાજ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીસમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ નર્મદાના નીરને આ ત્રણેય બ્રાન્ચ કેનાલમાં છોડવા હુકમ કર્યો છે.જે અંતર્ગત માળિયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦ ક્યુસેક પાણી, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ ક્યુસેક પાણી તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.અષાઢી બીજનો વરસાદ હજી મન મૂકીને વરસ્યો નથી તે પહેલા જ ખેડુતોને આવડો મોટા ઉપહારનો વરસાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સરકાર પાસેથી અપાવ્યો છે.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખેડુતોની આ લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નર્મદા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, જળ સંપત્તિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વગેરે સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી જેથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે.

આ કાર્ય સફળ બનાવવા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, સહકારી અગણી મગનભાઈ વડાવિયા, પૂર્વમંત્રી જયંતિભાઈ કાવડિયા, દુર્લભજીભાઈ દેથરિયાએ પણ જહેમત ઉઠાવી હતી.

મુખ્યમંત્રી ભૂેપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂેપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો છે.