જગદીશ ત્રિવેદીએ સૌરાષ્ટ્રની ત્રણ હોસ્પિટલને પંચોતેર લાખનું દાન કર્યુ

વિશાલ જયસ્વાલ હળવદ : હાસ્યકલાકાર,લેખક,કવિ,ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીના માટે અમેરીકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે ગયા છે. જ્યાં તેઓ આશરે ૩૮ જેટલાં કાર્યક્રમો કરનાર છે.

પોતાના જીવનના પચાસ વર્ષ પુરા કરીને પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરવાની જાહેરાત કરનાર એકમાત્ર કલાકાર ડો. જગદીશ ત્રિવેદી છે.

છેલ્લાં પાંચ વર્ષથી પોતાની આ પ્રતિજ્ઞાને દઢતાપૂર્વક પાળતા આ કલાકાર ૧ જૂનથી ૩૧ ઓગષ્ટ સુધી અમેરીકા અને કેનેડાના પ્રવાસે છે ત્યાંથી એમણે હાસ્યના કાર્યક્રમો કરીને સુધીમાં આશરે પંચોતેર લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાત સુધી પહોંચાડી આપી છે.

તેમણે સાવરકુંડલાની શેઠ લલ્લુભાઈ હોસ્પિટલને ચાલીસ લાખ રુપિયા , રાજુલાની મહાત્મા ગાંધી હોસ્પિટલને એકવીસ લાખ રુપિયા અને ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને પંદર લાખ રુપિયા મળીને આશરે પોણા કરોડ એટલે પંચોતેર લાખ રુપિયા જેવી માતબર રકમ સૌરાષ્ટ્રની આ ત્રણ નિશૂલ્ક હોસ્પિટલને અર્પણ કરેલ છે.

જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ૨૭ જુલાઈ સુધીમાં એમણે અમેરીકા અને કેનેડાના મળીને કુલ વીસ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે અને હજું બીજા અઢાર કાર્યક્રમો બાકી છે. તેઓ ત્રણ મહીનાના આ પ્રવાસ વડે ગુજરાતના જરુરિયાતમંદ માણસોની શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવા માટે કુલ દોઢ કરોડ રુપિયા જેવી મોટી રકમ લઈને આવશે એવી એમને સાત્ત્વિક શ્રદ્ધા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ગામે કુપોષિત બાળકોના પોષણ માટે એક બાળ સેવા કેન્દ્રનું મકાન પણ હાલ ચણાઈ રહ્યું છે જે પૂર્ણતાને આરે છે. સેવાના ભેખધારી કલાકાર જગદીશ ત્રિવેદી ઉપર ભારત અમેરીકા અને કેનેડા ઉપરાંત અન્ય દેશોમાં વસતાં ગુજરાતીઓ તરફથી અભિનંદનની વર્ષા સતત વરસી રહી છે.