મોરબી જિલ્લામાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અંદાજે દસ હજાર જેટલા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું

મહાનુભાવોનું સ્વાગત ઔષધીય છોડથી કરવાનો નવો અભિગમ

રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાની સાથે મોરબી જિલ્લામાં પણ બે રથ વિકાસ યાત્રા અતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આ વિકાસ યાત્રા રથનું જ્યાં જ્યાં આગમન થાય ત્યાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઔષધીય રોપાઓનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી.

હરિયાળું ગુજરાતની સંકલ્પનાને સિદ્ધ કરી શકાય તથા ઔષધીથી થતા લાભથી લોકો જાણકાર બને ઉપરાંત ઔષધીઓ તેમને ઘર આંગણે જ ઉપલબ્ધ બની રહે તે હેતુથી વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દરેક સ્થળે ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે અંદાજે દસ હજારથી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગ દ્વારા વંદે ગુજરાત વિકાસ રથ સાથે આ ઔષધીય રોપાઓનું વિતરણ કરી શકાય તેવા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું. જે હેઠળ ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓના હસ્તે ગ્રામજનોને આ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પણ ઔષધીય છોડ દ્વારા કરવામાં આવી રહ્યુ હતું.