તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામી રકમ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરાશે

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ૩૦ ઓગસ્ટ સુધીમાં વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી

ધો. ૧૦ અને ૧૨ માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામી રકમ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરાશે

                ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨માં વર્ષ-૨૦૨૨માં સમગ્ર રાજ્યનાં સફાઈ કામદારો અને તેમનાં આશ્રિત બાળકોમાં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઈનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં છે.

        જે યોજના હેઠળ વર્ષ- ૨૦૨૨ માં ધોરણ. ૧૦માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૪૧,૦૦૦/-, રૂ.૨૧૦૦૦/- અને રૂ.૧૧,૦૦૦/- તથા ધોરણ -૧૨માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૩૧,૦૦૦/-, રૂ.૨૧,૦૦૦/- અને રૂ.૧૧,૦૦૦/- રોકડ ઈનામ તરીકે નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી.

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સમક્ષ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તારીખ:-૩૦/૦૮/૨૦૨૨ સુધીમાં નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે કચેરીનો સંપર્ક કરવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની  યાદીમાં જણાવાયું છે.