રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને PGVCL વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આગોતરું આયોજન અનિવાર્ય –  મંત્રી બ્રિજેશભાઇ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ વિભાગ મોરબીની સમીક્ષા બેઠક પીજીવીસીએલ કચેરી મોરબી ખાતે યોજાઇ હતી.

મોરબી પીજીવીસીએલ વિભાગની કામગીરી તથા પ્રગતિ અહેવાલ અને આગામી આયોજન અંગેની સમીક્ષા બેઠક રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ કચેરી ખાતે તાજેતરમાં યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલ વિભાગની કામગીરીનો ચિતાર મેળવી જણાવ્યું હતું કે, મોરબી પીજીવીસીએલની કામગીરી ખૂબ સારી છે. વધુમાં શનાળા તથા વાવડી ડિવિઝન હેઠળ વાડી વિસ્તારમાં વીજળી જોડાણો, મોટી બરાર સબ સ્ટેશન, નારણકા, ઘાંટીલા, ચકમપર વગેરે અંગેની વિવિધ રજૂઆતો અન્વયે ઝડપી યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.

વધુમાં વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને વીજળીની મુખ્ય જરૂર પડશે ત્યારે તેમને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવા પણ મંત્રીશ્રીએ સૂચના આપી હતી. ઉપરાતં નવરાત્રીના પર્વ અન્વયે પણ સુચારૂ વીજ માળખું જળવાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી. એ.ઝાલા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા,અગ્રણી સર્વે જીગ્નેશભાઈ કૈલા, કે.કે. પરમાર, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટના જી.એમ. ફાઇનાન્સ કે.એસ. મલ્કાન, પીજીવીસીએલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર બી.આર. વડાવિયા, મોરબી ડિવિઝન-૧ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.પી.બાવરવા, મોરબી ડિવિઝન-૨ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.સી. ગોસ્વામી સહિત પીજીવીસીએલ વિભાગના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.