આકાશી વીજળીથી ૧૦ ભેંસોનું મૃત્યુ થતાં સરકાર દ્વારા પશુપાલકોને ૩ લાખની સહાયના હુકમો એનાયત કરાયા

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુપાલકોને સહાય અપાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાની પ્રેરક ઉપસ્થતિમાં આકાશી વીજળીથી મૃત્યુ પામેલ ભેંસોના માલિક પશુપાલકોને ભેંસ દીઠ ૩૦ હજાર એમ ૧૦ ભેંસો માટે ૩ લાખની સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

વરસાદી મોસમમાં ઘણીવાર આકાશી વીજળી પડવાના કારણે માનવ કે પશુંના મૃત્યુ બનાવો બનતા હોય છે. ત્યારે હાલ ૧૨ તારીખે ઊંચી માંડલ ગામના ૪ પશુપાલકોની ૧૦ ભેંસોનું વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના સતત પ્રયાસો તથા વહીવટીતંત્રના સહયોગ થકી ત્રીજા જ દિવસે પશુપાલકોને પ્રત્યેક પશુ દીઠ ૩૦ હજાર એમ ૧૦ પશુઓ માટે ૩ લાખની સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાએ પણ પશુ દીઠ ૧૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ ઝડપી સહાય અને સંવેદનશીલતા દર્શાવે છે કે, તમામ સંજોગોમાં  સરકાર તથા વહીવટીતંત્ર લોકોની સાથે જ છે.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, અગ્રણી સર્વ દુર્લભજીભાઈ દેથરિયા, જયુભા જાડેજા, કે.કે.પરમાર સહિત પદાધિકારી અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.