મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓએ ગ્રેડ પે મામલે અચોક્કસ મુદ્દતની હડતાળ અનેક કામગીરીને અસર

સરકારના મહત્વના સામિત્વ પ્રોજેક્ટ, રીસરવે, જમીન માપણી, સીટી સર્વેમા પ્રોપર્ટી કાર્ડ નોંધ દાખલ કરવાની અનેક કામગીરીને બ્રેક લાગી.
​​​​​​

રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર સહિત રાજ્યના તમામ કર્મચારીઓ હડતાળમા જોડાયા.

મિત ત્રિવેદી : ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3 કર્મચારી મહામંડળના નેજા હેઠળ સોમવારથી રાજ્યભરના 1500 થી વધુ કર્મચારીઓ સરકાર સમક્ષ મુકેલી પડતર માંગણીઓનો લાંબા સમય સુધી નિવેડો ન આવતા અને ખાસ કરીને ગ્રેડ-પે મા સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાળનુ શસ્ત્ર ઉગામ્યુ છે. જે મુદ્દે મોરબી જીલ્લાના લગભગ ૩૫ જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ મા જોડાયા છે. જેના કારણે જમીન માપણી, નકલ અરજી સહિતની પ્રજાલક્ષી કામગીરી પર અસર જોવા મળી છે.

રાજ્ય સરકારના મહત્વના વિભાગ ગણાતા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટના વર્ગ-૩ ના કર્મચારી યુનિયને વર્ષ ૨૦૧૮ થી પગાર વિસંગતતા, ગ્રેડ પે સુધારવા, નવી ઉભી કરેલી એ.ડી.આઈ. પોસ્ટ રદ કરી શિરસ્તેદાર, હેડ કલાર્ક પોસ્ટ એકત્ર કરવા, ખાતાકીય પરીક્ષા સમયસર યોજવા, ૫૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓને પરીક્ષા મુક્તિ સહિતના અનેક મુદ્દે સરકાર સમક્ષ લેખિત માંગણીઓ રજુ કરી હતી. જેમા, અમુક માંગણીઓ સ્વિકાર કર્યા બાદ મહત્વની ગ્રેડ-પે અને પગાર ધોરણ સુધારવાની માંગણી લાંબો સમય સુધી સ્વિકારી ન હોવાથી કર્મચારીઓના રાજ્ય મંડળે ગત તા. ૩૦ ઓગસ્ટે આવેદનપત્ર પાઠવી ગત તા. ૨૩ સપ્ટેમ્બરથી સરકારની મહત્વની યોજનાઓ રીસરવે, સ્વામિત્વ યોજના અને ગામઠાણ પ્રોજેક્ટનો પેન ડાઉન કરી બહિષ્કાર કર્યો હતો.

પરંતુ ત્રણેય કામગીરી બંધ કરવા છતા નિવેડો ન આવતા તા. ૩ ઓક્ટોબર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી સોંપો પાડી દીધો છે. જે અંતર્ગત મોરબી જીલ્લાના ૩૫ થી વધુ કર્મચારીઓ રાજ્ય મંડળની સુચનાથી પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી ની આગેવાની હેઠળ હડતાલ પર ઉતરી જતા સરકાર ની મહત્વની કચેરીઓ કર્મચારી વગર સુમસામ ભાસતી રહી હતી. અને પોતાના કામ અર્થે આવેલા કર્મચારીઓને ડેલે હાથ દઈ પરત ફરવુ પડયુ હતુ. લેન્ડ રેકર્ડ કર્મચારીઓ ની હડતાળથી ખેતીની જમીન માપણી, બિનખેતી માપણી, જમીનને લગત નકલ અરજી સીટી સર્વે કચેરીમા પ્રોપર્ટી લે વેચ નોંધ, પ્રોપર્ટીકાર્ડની કામગીરીને બ્રેક લાગી જતા કામગીરીને ઘેરી અસર પડી છે.
શહેર લાયક ગામડાને પ્રોપર્ટી કાર્ડ આપવાની સરકારની યોજના તથા સરકારના સામીત્વ પ્રોજેક્ટને સદંતર બ્રેક લાગી છે. જેના કારણે અરજદારોને કચેરીનો ધર્મનો ધક્કો ખાવો પડ્યો છે.