સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દશેરાએ પણ ખૈલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા

દશેરાએ ખાસ ખેલૈયા માટે રાસ ગરબાના મેગા ફીનાલે રાઉન્ડ યોજાયો : મેગા ફીનાલેના વિજેતાઓને સોનાની વસ્તુઓ સહિત લાખેણા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા

દશે-દશ દિવસ સુધી તમામ સમાજની હજારો મહિલાઓ ફ્રી એન્ટ્રી સાથે એકદમ સુરક્ષિત વાતાવરણમાં મન મુકીને રાસ ગરબે ઘૂમી

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમા ગઈકાલે અંતિમ દિવસ એટલે દશેરાએ પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. દશેરાએ ખાસ ખેલૈયા માટે રાસ ગરબાના મેગા ફીનાલે રાઉન્ડ યોજાયો હતો. મેગા ફાયનલના વિજેતાઓને સોનાની વસ્તુઓ સહિત લાખેણા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આયોજક અજય લોરિયા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથે છેલ્લા 14 વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વખતે નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણપ્રીય સુર અને સંગીતના સથવારે મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. દરરોજ રાત પડેને દિવસ ઉગે તો યુવાનો માટે માહોલ સર્જાયો હતો. આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને નામાંકિત કલાકારોના ગીત સંગીતના કર્ણપ્રિય તાલે મોટી સંખ્યા યુવક યુવતીઓ રાસ ગરબે રમ્યા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, નવરાત્રીના નવ દિવસ મન મૂકીને ખેલૈયાઓ રમ્યા હતા. અને દશેરાએ નવ દિવસના વિજેતા ખેલૈયાઓનો મેગા રાઉન્ડ યોજયો હતો.

જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા અને ફીનાલે રાઉન્ડમાં વિજેતા થયેલા ખેલૈયાઓમાં યંગ પ્રિન્સ પાર્થ પાટડીયા, યંગ પ્રિન્સેસ છાયા આહીર, લીટલ પ્રિન્સ બોપલીયા ભવ્ય, લિટલ પ્રિન્સેસ વિશ્વા કવૈયાને સોનાની વસ્તુઓ તેમજ લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયા અને તેમની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. અજય લોરિયાએ આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અને પાટીદાર નવરાત્રીની સાથે સંકલ્પ નવરાત્રીના આયોજનને તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી. અને સાથે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા રૂપિયા 1.11 લાખનું અનુદાન પણ અર્પણ કર્યું હતું. આ સાથે યુવા પાટીદાર અગ્રણી અરવિંદભાઈ બારૈયા, કેતન વિલપરા અને ટિકટોક સ્ટાર ઓમ બારૈયા, કોમેડી કિંગ હાસ્ય કલાકાર બટુકભાઈ ઠાકોર સહિતના મહાનુભાવો તથા કલાકારોએ હજાર રહી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમાજ જાગૃતિથી દેશભાવના મજબૂત બનાવવા માટે અવિરતપણે થતા તમામ સારા કાર્યોને બિરદાવી સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમને અભિનંદન આપ્યા હતા. આ દરેક મહાનુભાવોનું યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ સન્માન કર્યું હતું.

દેવેનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે, આમ તો સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવે છે. પણ દરેક વખતે રજિસ્ટ્રેશનથી ફ્રી એન્ટ્રી અપાતી હોય આ વખતે રજિસ્ટ્રેશનની બાદબાકી કરી તમામ સમાજની નાની મોટી બહેનોને રજિસ્ટ્રેશન વગર જ નવરાત્રી મહોત્સવમાં વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત 1 હજારથી વધુ બહેનોને ખાસ ટ્રેનરો દ્વારા રાસ ગરબાના તમામ સ્ટેપ્સની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી. આથી આ સમગ્ર નવરાત્રી મહોત્સવમાં એકદમ સુરક્ષિત વાતાવરણમાં હજારો બહેનો રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. તેમજ આ વખતે ખાસ દુર્ગાઅષ્ટમી એટલે આઠમા નોરતે આઠમની મહાઆરતી દિવ્યાંગ બાળકો અને તેના માતા-પિતાને હસ્તે કરાવીને માતાજી આ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની જેમ તેમના મનગમતા ક્ષેત્રેમાં આગળ વધવાની શક્તિ આપે અને સામાન્ય બાળક પણ જે કાર્ય ન કરી શકે તેવું કાર્ય કરવા માટે દિવ્યાંગ બાળકોને શક્તિ સામાર્થ્યવાન બનાવે તેવી જગત જનની જગદંબાને પ્રાર્થના કરાઈ હતી. દેવેનભાઈ રબારીએ સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહકાર આપનાર તમામ સ્પોનસર અને તમામ સરકારી વિભાગો તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.