મોરબી જિલ્લામાં ૨.૩ લાખ આયુષ્યમાન કાર્ડ થકી ૧૪૭ કરોડની કેસલેસ સારવાર આપવામાં આવી

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થતિમાં મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતમાં યોજાનાર પી.એમ.જે.વાય. યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અન્વયે મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

જન જનની આરોગ્યની સુવિધા માટે સરકારે સતત ચિંતા કરી છે તેનું સર્વોત્તમ ઉદાહરણ છે આયુષ્યમાન કાર્ડ તેમ શ્રમ,રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, ગરીબો અને જરૂરિયાત મંદ લોકોની સારવાર માટે અનેક સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રો ઉભા કર્યા છે. ઉપરાંત આયુષ્માન કાર્ડ થકી ખાનગી દવાખાનામાં પણ લોકો વિના મૂલ્યે સારવાર મેળવી શકે છે. આરોગ્ય વિભાગ સહિત તમામ ક્ષેત્રે ડબલ એન્જિન સરકાર દ્વારા વણથંભી વિકાસ યાત્રા અવિરત શરૂ રાખવામાં આવી છે. આ તકે મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા અને અગ્રણી અરવિંદભાઈ વાંસદડિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં લાભર્થીઓને મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન કાર્ડ યોજના શરૂ થયા બાદ આજ સુધીમાં મોરબી જિલ્લામાં ૨,૩૪,૩૩૪ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. જે અનવ્યે ૧૪૭.૩૭ કરોડની કેસલેસ સારવાર આપવામાં આવી છે.

આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વ દુર્લભજીભાઈ દેથરિયા, જયુભા જાડેજા, લાખાભાઈ જારિયા, સહિત જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ તેમજ લાભાર્થીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.