ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્વગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ.

મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબી ખાતે સર્જાયેલી દુર્ઘટનાના પગલે આજ સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્ય ભીની આંખે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

 

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાર્થના સભામાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી શેરશિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડ, ડેપ્યુટી કલેક્ટરશ્રી ડી.એ.પરમાર સહિત મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તથા વહીવટીતંત્રના તમામ સંવર્ગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.