મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ.

તમામ દળની ટીમો તથા સ્થાનિક લોકો સહિત તમામનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો 

 

મોરબી ખાતે જુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસ.ડી.આર.એફ. એન.ડી.આર. એફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તથા સર્ચ ઓપરેશન માટે તૈનાત હતી.

આજે કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રી હર્ષદ પટેલને આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત પાંચ દિવસ સુધી તમામ ટીમો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેમેરા, ડીપ ડાઈવર તેમજ સોનાર જેવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. બચાવ કામગીરીમાં તૈનાત તમામ દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા પરથી હવે આ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવો જરૂરી જણાતાં આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં લોકલ ફાયર બ્રિગેડ તેમજ એસ.ડી.આર.એફ. અને એન. ડી.આર.એફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ આ તમામ દળની ટીમોનો તેમજ મોરબીની જાહેર જનતા તરવૈયાઓ તેમજ મીડિયા સહિત જેમણે આ દુર્ઘટના અન્વયે કોઈપણ સહયોગ આપ્યો છે તેમનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો.