ટંકારા : પીવાનું પાણી નહી આવે આંદોલન કરવામાં આવશે

ટંકારા ગામે ઉગમણા નાકા બહાર, અમરાપર જતા રોડ પર તેમજ શીતળા માતાના મંદિર તરફ ધારે જવાના રસ્તા પર એમ અલગ અલગ ત્રણ જગ્યાએ વર્ષોથી રહેતા અતિ ગરીબ અને પછાત વર્ગના શ્રમિકો રહેતા હોય, બંધારણીય હકક અધિકારથી તદન વંચિત હોય, રોડ, રસ્તા, ગટર, મકાન વિહોણા અને પીવાના પાણી વગરના સરકારી ખરાબામાં અલગ અલગ વસાહત બનાવી પરિવાર સાથે ગુજરાન ચલાવે છે.

ટંકારા ગામના, તાલુકાના અને જીલ્લાના નેતાઓ અને આગેવાનો દરેક ચુંટણી સમયે આંબા – આંબલી દેખાડી વોટબેંક તરીકે “યુઝ એન્ડ થ્રો”ની જેમ ઉપયોગ કરી પોતાની ગંદી રાજનીતિમાં પાવરધા સાબીત થાય છે.

અજ્ઞાની અને  અશિક્ષિત, ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમાજના લોકોને પીવાનું પાણી ભરવા દોઢ બે કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે. જે વિકસિત ટંકારા ગામ માટે શર્મશાર કહેવાય, તંત્ર દ્વારા તાત્કાલીક પીવાના પાણીના કનેક્શન આપવામાં નહી આવે તો બંધારણીય જોગવાઈ મુજબ આંદોલન કરવામાં આવશે. એવી ચીમકી ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ તંત્રને આપી છે.