હળવદ ખાતે આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે

આયુર્વેદ સાથે જોડાઈએ અને જીવનને આરોગ્યપ્રદ તેમજ સુખમય બનાવીએ

આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને તથા હળવદ- ધ્રાગંધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ખાસ ઉપસ્થિતિમાં હળવદ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો, ચાલો આયુર્વેદ સાથે જોડાઈને આપણા જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનાવીએ.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના સંકલન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા આગામી ૧૩ જાન્યુઆરીના શિશુ મંદિર, સરા રોડ, હળવદ ખાતે સવારે ૦૯:૦૦ કલાકથી ૧૫:૦૦ કલાક દરમિયાન આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ-“હર્બલ ડ્રીંક”નુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ તેમજ પ્રકૃતિ પરીક્ષણ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવનાર છે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના વૈદ્ય પ્રવિણ વડાવિયાની યાદીમાં જણાવાયું છે