પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિહ્નો એટલે ગાંધીનગર અને દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરો  

૨ નવેમ્બર, ૧૯૯૨ માં યોગી શતાબ્દી અવસરે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ગાંધીનગર અક્ષરધામની વિશ્વને ભેટ ધરી, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ૬ નવેમ્બર, ૨૦૦૫માં માત્ર પાંચ વર્ષમાં ૧૦૦ એકરમાં ફેલાયેલા ભારતીય સંસ્કૃતિના ગૌરવતિલક સમા દિલ્લીના સ્વામિનારાયણ  અક્ષરધામનું લોકાર્પણ કર્યું

દિલ્લી અક્ષરધામ : ૮૦૦૦ સ્વયંસેવકો અને ૩૦ કરોડ માનવ કલાકોના ભક્તિભાવભર્યા સમર્પણનું પ્રતીક; તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. કલામ, પ્રધાનમંત્રી  ડો. મનમોહન સિંઘ અને વિપક્ષના નેતા   લાલકૃષ્ણ અડવાણી રહ્યા હતા ઉપસ્થિત, દિલ્લી અને ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરોમાં અત્યાર સુધી ૧૯૩ દેશોના દસ કરોડ કરતાં વધુ દર્શનાર્થીઓ આવ્યા 

૨૦૦૭માં  બી. એ. પી. એસ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દિલ્લીના અક્ષરધામને ‘વિશ્વના સૌથી મોટા સર્વાંગસંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, ૨૦૧૦માં દિલ્લી ખાતે અક્ષરધામ પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજે ‘બી. એ. પી. એસ.  સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ની સ્થાપના કરી   

૨૦૧૦માં વિશ્વના આધ્યાત્મિક સંદેશ આધારિત સર્વ પ્રથમ ‘ સત્ – ચિત્ – આનંદ વૉટર શો’ નું  ગાંધીનગર અક્ષરધામમાં ઉદ્ઘાટન થયું, કઠોપનિષદના નચિકેતાના કથાનક દ્વારા જીવન અને મૃત્યુના રહસ્યનું પ્રભાવશાળી નિદર્શન, ૨૦૧૪માં દિલ્લી અક્ષરધામમાં કેનોપનિષદના કથાનક દ્વારા સર્વકર્તાહર્તા પરમાત્માની શક્તિનું નિદર્શન કરતા ‘સહજાનંદ વૉટર શો’ નું ઉદ્ઘાટન      

૨૦૧૧માં દિલ્લી અક્ષરધામને રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા ૨૧ મી સદીની સાત અજાયબીઓમાં સ્થાન અપાયું, ૨૦૧૧માં અમેરિકામાં ન્યૂજર્સી ખાતે રચાઇ રહેલા ભવ્ય ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિરનો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયો શિલાન્યાસ વિધિ  

૨૦૧૪માં અમેરિકામાં ન્યૂજર્સી ખાતે રચાઇ રહેલા ભવ્ય ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિર પરિસરમાં  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શિખરબદ્ધ મંદિરનો પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો, ૨૦૦૨માં અક્ષરધામ પર આતંકી હુમલા સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે દાખવેલા  શાંતિ, સ્થિરતા અને સૌહાર્દયુક્ત વલણને  સમગ્ર વિશ્વમાં ‘ અક્ષરધામ રિસ્પોન્સ’ તરીકે આદરથી જોવાય છે  

કોવિડ મહામારીમાં સમગ્ર ઉત્તર ભારતમાં દિલ્લીના  સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા ૩૨ સંતો અને ૧૦૦૦ સ્વયંસેવકો દ્વારા  વ્યાપક સ્તરે હાથ ધરાયાં હતાં રાહતકાર્યો, અક્ષરધામના નેજા હેઠળ ઑક્સીજન કોન્સનટ્રેટર્સ, માસ્ક, વેકસીનેશન, કાઉન્સેલિંગ, ગરમ ભોજન, ફ્રી મેડિકલ કન્સલ્ટેશન વગેરે દ્વારા પહોંચાડવામાં આવી હતી રાહત     

આજનો સંધ્યા સભા કાર્યક્રમ : સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, વક્તવ્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય સર્જન અક્ષરધામના સર્જન અને પ્રભાવને  દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ અક્ષરધામ  એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલ અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ! પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે ૩૨ વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો. 

બી.એ.પી.એસના પૂ. આદર્શજીવનસ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું, “નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજ ની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.

મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શૉ પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે.

પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જોવા મળતો હતો. અનેક અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.”

બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપસ્વામીએ જણાવ્યું, “ગાંધીનગર અને દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજનું કલા કુશળતા અને સૂઝના ઉત્તમ ઉદાહરણ છે, કારણકે અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં તેમનાં અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન રહેલાં છે, જેમાં અક્ષરધામમાં વપરાયેલો પત્થર હોય કે કળશ, ઘુમ્મટ હોય કે પરિક્રમા, મૂર્તિઓ અને  સિંહાસન વગેરે તમામ બાબતોમાં  પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપેલું છે. અક્ષરધામનાં દર્શન કરીને સૌ સ્વીકારે છે કે ભગવાનના આશીર્વાદ અને  શક્તિ  સિવાય આ કાર્ય શક્ય જ નથી.”

બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને ગાંધીનગર તથા દિલ્લી અક્ષરધામ નિર્માણની તથા હાલ નિર્માણાધીન ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણસ્વામીએ જણાવ્યું, 

“યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુના કિનારે મંદિર બનાવવું છે અને પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને એ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને ૯૪ વર્ષની જૈફ વયે પણ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાત મુહુર્ત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે. અમેરિકામાં આવનારી પેઢીઓને હિન્દુ ધર્મ શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે તેનો પરિચય રોબિન્સવિલ અક્ષરધામના દર્શન કરીને થશે કારણકે આ અક્ષરધામ હિન્દુ ધર્મનું ગૌરવ અને પ્રતિક બનવાનું છે.”

રૉબિન્સવિલ, ન્યૂજર્સીના મેયર શ્રી માનનીય ડેવિડ ફ્રેડ દ્વારા ન્યૂજર્સીમાં નિર્માણાધીન અક્ષરધામના સર્જન માટે અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ  પાઠવી હતી.  

આજની સભામાં આમંત્રિત મહાનુભાવો : શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી – ભારત સરકાર, ડો. એલ મુરુગન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી, શ્રી અરાગા જ્ઞાનેન્દ્ર, ગૃહ મંત્રી – કર્ણાટક સરકાર, માનનીય હ્યુગો જેવિયર ગોબ્બી  – ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત, પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા, આચાર્ય ભાઈશ્રી – સાંદીપનિ આશ્રમ, પૂજ્ય સ્વામી શાંતાત્માનંદજી, સેક્રેટરી રામકૃષ્ણ મિશન, ડો. ચિન્મયભાઈ પ્રણવભાઈ પંડ્યા, અધ્યક્ષ – ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, શ્રી બાબા દવિન્દર સિંહજી, પ્રમુખ – કલગીધર સોસાયટી, બરુ સાહિબ, શ્રી ડી.આર. કાર્તિકેયન, ભૂતપૂર્વ ડિરેક્ટર – સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), શ્રી સુનીલ અરોરા – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, શ્રી કે રામાસામી – ચેરમેન – રૂટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિ, બ્રિગેડિયર રાજ સીથાપથી – બ્રિગેડિયર – ભારતીય સેના, શ્રી કિશોર બિયાની – સ્થાપક અને સીઈઓ – ફ્યુચર ગ્રુપ, શ્રી સુનિલ હાલી – પ્રમોટર – મીડિયા, માર્કેટિંગ અને એન્ટરટેઇનમેન્ટ