અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે કેન્દ્ર સરકારની એક ખાસ યોજના:  ઇ- શ્રમ કાર્ડ કઢાવવા ખાસ અપીલ

કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપતી યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના.

શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા કે, પિએમએસબીવાયની જેમ વીમા કવરેજ મળશે. અકસ્માતથી મૃત્યુ અથવા સ્થાયી રૂપથી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયાની સહાય મળશે. અલગ પ્રકારના સામાજિક સુરક્ષાનાં લાભોનું વિતરણ ઇ-શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે. મહામારીનાં સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં  સરળતા રહેશે. તેમજ આ ઇ-શ્રમ કાર્ડ સમગ્ર દેશમાં માન્ય રહેશે.

આ ઇ-શ્રમ કાર્ડ માટે ચોક્કસ શ્રમિકો જેવા કે, બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરી શ્રમયોગી, ડોમેસ્ટિક વર્કસ, ખેત શ્રમિક, સીમાંત ખેડુત, ફેરિયાઓ, નાના દુકાનદારો, દૂધવારા, ગ્રામીણ કારીગરો, જેવા કે દરજી, મિસ્ત્રી, કુંભારી કામ, વાણંદ કામ, મોચી કામ, લુહારી કામ, ગ્રામપંચાયતના પટ્ટાવાળા, પાણીવારા વગેરેને સરકાર દ્વારા ઇ-શ્રમકાર્ડનો લાભ મળવા પાત્ર છે.

આ યોજના માટે ૧૮ થી ૫૯ વર્ષની વય ધરાવતા શ્રમિકોએ જરૂરી ડોક્યુમેન્ટમાં પોતાનું અને વારસદારનું આધારકાર્ડ, બેંક પાસબુક, મોબાઇલ વગેરે સાથે લઇ ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેન્દ્ર ખાતે રૂબરૂ લઇ જઇ નોંધણી કરાવી શકશે.

હાલ જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો સત્વરે ઇ-શ્રમ કાર્ડ કઢાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.