કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અંતર્ગત માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ પૂર્વેના મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની કામગીરી અન્વયે રાજકીય પક્ષો સાથે જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારોની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં મતદાન મથકોની સમીક્ષા કરી Election Commission of Indiaની સુચનાઓ મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા ૧૫૦૦ થી વધે નહી તે ધ્યાને લઇ મતદાન મથકનું શિફ્ટીંગ, મતદાન મથકના સેક્શન શિફ્ટીંગ તેમજ મતદાન મથક મર્જ કરવાની કામગીરીનું વિગતવાર રાજકીય પક્ષોની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલ સુચનોને ધ્યાને લઈ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કલેકટર સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મતદાર નોંધણી અધિકારી, ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર તેમજ રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) તથા કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI)ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.