ઘુંટુ (જનકપુર) ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ

મોરબી તાલુકાના ઘુંટુ (જનકપુર) ગામે રામનવમીના પાવન પર્વ નિમિત્તે ગઇકાલે તા.26ને, ગુરુવારના રોજ વહેલી સવારે શ્રી રામજી મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ભવ્ય ધૂમધામ અને ધાર્મિક ઉમંગ સાથે પ્રસ્થાન કરી હતી.

રથયાત્રામાં ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીના પાત્રો તથા સજાવટ કરાયેલા રથોએ સૌનું વિશેષ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ પાત્રોએ ભક્તોમાં અનોખો ઉત્સાહ જગાવ્યો હતો. યાત્રા દરમિયાન જય શ્રી રામના ગુંજતા નારા, ભજન-કીર્તન અને ઢોલ-નગારા સાથે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.

ગામજનો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા અને માર્ગમાં જગ્યાએ જગ્યાએ પુષ્પવર્ષા કરીને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને શ્રદ્ધાભેર વાતાવરણ જોવા મળ્યું હતું. રથયાત્રા પૂર્ણ થયા બાદ શ્રી રામજી મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી આરતીનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી બજરંગ યુવક મંડળ તથા ઘુંટુ (જનકપુર) ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું.


Leave a Comment