મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (એન.ડી.ડી.) ની શહેરના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામા આવી હતી, મોરબી મહાનગરપાલિકા માં સમાવેશ થતા જુદા જુદા વિસ્તારોમાં શાળા તેમજ આંગણવાડી ખાતે જતા 1 થી 19 વર્ષ સુધીના બાળકોને કૃમિનાશક આલ્બેંડેઝોલ ગોળી આપવામા આવી હતી.
કૃમિના ચેપથી બાળકોમા એનિમિયા, કુપોષણ તેમજ વૃદ્ધિમા અવરોધ જોવા મળે છે, જે બાળકના શારીરીક તેમજ માનસિક વિકાસને અવરોધે છે.

કૃમિના ચેપને ફેલાતો અટકાવવા માટે જમ્યા પહેલા અને પછી હાથ ધોવા, ટોઇલેટ ગયા પછી સાબુ થી હાથ ધોવા, નખ સાફ રાખવા તેમજ સ્વચ્છ પાણી અને ખોરાક નો ઉપયોગ કરવો વગેરે કાળજી રાખવી જોઇએ. મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા બાળકોને કૃમિનાશક આલ્બેંડેઝોલ ગોળીનું રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું, જો આપનુ બાળક આલ્બેંડેઝોલ ગોળી લેવામા બાકી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, તેમ મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની એક યાદી મા જણાવ્યુ છે.


