મોરબી : પી.એમ.પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં ૭ વ્યવસ્થાપક, ૭ રસોયા તથા ૨૨ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી થતી હોય. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૫ સપ્ટેમ્બર સુધીમાં મોરબી તાલુકા મામલતદારની કચેરી રૂમ નં.૬ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરીએ રૂબરૂ કચેરીના કામકાજના સમયે અરજી પહોંચતી કરવાની રહેશે.

જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા હોય તેને જે-તે તારીખે અભ્યાસ તથા ઉમર અંગેના અસલ આધારો સાથે સ્વખર્ચે રજુ થવાનું રહેશે. વ્યવસ્થાપક એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. જ્યારે રસોયા તથા મદદનીશની નિમણુંક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચુંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે તથા અરજી ફોર્મમાં ફોટો ચોંટાડીને પોતાનો ફોન નંબર લખવાનો રહેશે.

વ્યવસ્થાપક, રસોયા અને મદદનીશ તરીકે સ્થાનિક સંસ્થા (પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલીકા)માં ચૂંટાયેલા અથવા હોદો ધરાવતા હોય કે સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા કર્મચારી કે તેના પતિ/પત્ની/પુત્રો કે આશ્રીતો, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ, પત્ની પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, કોઈ પણ ગુનાહિત કાર્ય કરેલ હોય કે તેની સાથે સંકળાયેલ હોય, કોઈ અક્ષમ્ય હોય તેવી કસુર કરી હોય અને પોલીસ ફરીયાદ થઈ હોય, તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમયે ગેરરીતી સબબ કસુરવાર ઠરેલ હોય, તેવી વ્યકિત, અનાજ દળવાની ઘંટી ચલાવતી હોય તેવી વ્યકિત, શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યકિત.

કોઈપણ જગ્યાએ માનદવેતન મેળવતી વ્યકિતઓ, હોમગાર્ડઝમાં ફરજ બજાવતી હોય તેવી વ્યકિતઓ, રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલ કોઈ રૂખસદ આપેલ હોય કે બરતરફ કરેલી હોય તેવી વ્યક્તિ, સંચાલક/રસોયા/મદદનીશ તરીકે નિમણુંક મેળવવા માટે અન્ય કોઈ કારણોસર પાત્રતા ધરાવતા ન હોય તેવા, સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત, અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતીઓ સબબ છુટા કરેલ હોય તેવી વ્યકિત, વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ અરજી કરી શકશે નહી.

નવા પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં નિમણુંક માટે સમયમર્યાદામાં મામલતદાર કચેરી-મોરબી ખાતે કચેરીના સમય દરમ્યાન અરજીઓ મોકલી આપવાની રહેશે ત્યારબાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તેમજ અરજી કરી ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવારોને ઈન્ટરવ્યું માટેની તારીખની જાણ કચેરી દ્વારા કરવામાં આવશે. જો કોઇપણ ઉમેદવાર ઈન્ટરવ્યુંમાં જાતે હાજર રહેવામાં કસુર કરશે તો તેઓ સંચાલક રસોયા મદદનીશ તરીકે રહેવા માંગતા નથી તેમ માની લઈ જે તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા મોરબી તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયું છે.