મોરબી :ડૉ.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે ‘અમૃત કળશ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ તેમજ ‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત શ્રમદાન જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

ગ્રામ્ય તેમજ શહેરીજનોની રાષ્ટ્ર ભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેમજ રાજ્યના તમામ વિસ્તારની માટી દેશના પાટનગર ખાતે ભેગી કરીને સમગ્ર દેશ સાથે દરેક વ્યક્તિ ઐક્ય અનુભવે, દેશની એકતા કાયમ બની રહે તે માટે લોકોમાં ઉઠેલી દેશ ભક્તિની લહેરને ધ્યાને લઈ ‘અમૃત કળશ યાત્રા’ નું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે મોરબીમાં ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે ‘અમૃત કળશ યાત્રા’નો કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના લોકોની સહભાગીદારીથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમૃત કળશ યાત્રા, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત શ્રમદાન જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમને ઉદ્બોધન કરી આઝાદીની ચળવળમાં ભાગ લીધેલ વીર શહીદો, ક્રાંતિકારોએ તેમજ જવાનોને યાદ કરી તેઓની દેશ ભક્તિને સ્મરણાંજલી આપવામાં આવી હતી. રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર એકતાના આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગ સાથે રહી પોતાનો સહયોગ આપી ભાગીદારી થાય અને દેશ ભક્તિની ભાવના પ્રજવલીત થાય તે મુજબનું પ્રેરક અને પ્રેરણાદાયી ઉદ્બોધન પ્રમુખ દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયતના પદાધિકારી જયેશભાઈ રાઠોડ, અશ્વિનભાઈ પાટડીયા, રાજેશભાઇ પરમાર, અગ્રણી સર્વ બાબુભાઇ પરમાર, બચુભા રાણા, સુખાભાઈ ડાંગર, જેઠાભાઇ પારધી, દિનેશભાઇ પરમાર, લાલજીભાઇ સોલંકી, મોરબી નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ, મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (જિલ્લા પંચાયત), મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ  કલ્યાણ, રાજકોટ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, તેમજ મોટી સંખ્યામાં છાત્રો, વાલીઓ લાભાર્થીઓ, કર્મચારીઓ તેમજ અનુસૂચિત જાતિ અને જન જાતિ અને બક્ષીપંચ સમુદાયના લોકો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું હતું.