મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે આવતી કાલે આયુષ મેળો યોજાશે

મોરબી જિલ્લાવાસીઓને આયુષ મેળાનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્રનો અનુરોધ; એક કદમ આરોગ્યપ્રદ જીવન તરફ, એક કદમ આયુર્વેદ તરફ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના નેતૃત્વ તેમજ જિલ્લા વિકાસ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મોરબી જિલ્લામાં આવતી કાલે સવારે ૦૯:૩૦ થી ૦૪:૦૦ સુધી જિલ્લા પંચાયત કેમ્પસ, શોભેશ્વર રોડ, સો ઓરડી, મોરબી-૨ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયુષ મેળા અન્વયે તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા-વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન, હરસ-મસા-ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણું હર્બલ ડ્રિંકનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવનાર છે.

આ આયુષ મેળાનો વધુને વધુ લાભ લેવા જિલ્લાવાસીઓને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.