ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાનું પુસ્તક દેશથી પરદેશ નું વિમોચન

બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી જિલ્લાના – ટંકારા તાલુકાના – લખધીરગઢ પ્રા. શાળાનાં શિક્ષિકા જીવતીબહેન પીપલીયાનું ચોથું પુસ્તક( ‘દેશથી પરદેશ સુધી’ નું વિમોચન જગત જનની મા ઉમિયાના આશિષ સાથે ઉંઝા ખાતે કરવામાં આવ્યું.

ભાષા અને સાહિત્યની સેવા કરવાનાં શુભ આશયથી ‘શબ્દ વાવેતર પરિવાર’ ગ્રુપમાં જોડાઈને નવોદિત કવિઓ અને લેખકોની પદ્ય વિભાગની રચનાઓનું મૂલ્યાંકન કરી, માર્ગદર્શન આપતાં, શબ્દ વાવેતર ગ્રુપનાં એડમીન અને લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પીપલીયા જીવતીબહેન દ્વારા સંપાદિત ચોથા પુસ્તક ‘દેશથી પરદેશ સુધી’ નું ઉંઝા તીર્થક્ષેત્રમાં વિમોચન કરવામાં આવ્યું.

જગતથી જુદું વિચારતાં જીવતીબહેનનો પ્રથમ બાળગીત સંગ્રહ ‘પરીબાઈની પાંખે’, દ્વિતીય બાળવાર્તા સંગ્રહ ‘હાથીદાદાની જય હો’, તૃતીય પુસ્તક ‘નટખટ’ (શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર) પ્રકાશિત થઈ ચૂક્યા છે. એવાં જીવતીબહેને G 20 અંતર્ગત ભારત દેશની યજમાનીમાં થયેલા વિવિધ કાર્યક્રમોથી પ્રેરણા લઈને “આખી પૃથ્વી એક પરિવાર” અર્થાત્ વસુધૈવ કુટુમ્બકમની શુભ ભાવનાઓને ઝીલતાં દેશ પરદેશમાં વસતા કવિ મિત્રોના ૧૦૧ કાવ્યોનું સંકલન કરી, ‘દેશથી પરદેશ સુધી’ કાવ્ય સંગ્રહનું સંપાદન કર્યું. ‘અનેક એવોર્ડ વિજેતા નિવૃત્ત બેંક ઓફિસર માણેકલાલ પટેલ તેમજ નિવૃત્ત અધિકારી અને શબદ સાહિત્ય પરિવારના એડમિન શ્રી નિરંજન શાહ ‘નીર’, ત્રિલોકભાઈ કંડોલિયા તેમજ શબ્દ વાવેતર પરિવાર પૂરી ટીમના વરદ હસ્તે ‘દેશથી પરદેશ સુધી’ કાવ્ય સંગ્રહને વિમોચિત કરવામાં આવ્યો. આ સ્નેહમિલનમાં ૧૦૦ જેટલાં કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. તેમજ અન્ય સર્જકોના બીજા ૨૪ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.