મોરબી : આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મેળવી સંપૂર્ણ તંદુરસ્તી મેળવતા વનિતાબેન

ઘરના કાંઠે યોજનાઓની ગંગા વહી રહી છે, પુણ્ય કમાવવાનો મોકો ચૂકશો નહિ ;  અમારા જેવા મધ્યમ પરિવારોને યોજનાઓનો લાભ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે:

મોરબી – બિલિયાના લાભાર્થી વનિતાબેન સાણંદિયા જીવેલણ કેન્સર રોગની આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મેળવી સંપૂર્ણ તંદુરસ્તી મેળવતા વનિતાબેન સાણંદિયા

પોપટ બેઠો પાંજરામાં તેને ઉડવાનું મન થાય, નરેન્દ્રભાઈ બેઠા દિલ્હીમાં તોય મળવાનું મન થાય” આ શબ્દો છે મોરબી તાલુકાના બિલિયા ગામના કેન્સરના દર્દી વનિતાબેન સાણંદિયાના….વનિતાબેનએ  થોડા સમય પહેલા મોરબીની આયુષ હોસ્પિટલમાં ચેકઅપ  કરાવતા શરીરમાં કેન્સર હોવાની જાણ થઈ હતી. કેન્સરનું નામ સાંભળતા જ પોતે અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પરંતુ વનિતાબેને મન મક્કમ રાખી કેન્સરને નાબૂદ કરવા જે કાઈ કરવું પડે તે કરવા માટેની તૈયારી બતાવી હતી. પોતાની પાસે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોવાથી રાજકોટમાં નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં સંપર્ક કરી સારવાર અંગે ડોકટરો પાસેથી માહિતી મેળવી હતી.

સારવાર અંગે વનિતાબેને વધુમાં જણાવ્યું હતું કે મારા કેન્સર રોગની સારવાર કરાવવા રિપોર્ટ, ઓપરેશન, કીમોથેરેપીના છ ડોઝ સહિત બધું મને ફ્રીમાં રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાંથી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોવાને લીધે મળી ગયું હતું અને આજે મે જીવલેણ કેન્સર રોગ સામે સંપૂર્ણ તંદુરસ્તી મેળવી લીધી છે.

આ પહેલા મને સારણગાંઠ થયેલી તેની સારવાર પણ મે મોરબીની આયુષ હોસ્પિટલમાં લીધી હતી. ત્યાં પણ મને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ કાર્ડ થકી સારવાર તદન મફતમાં મળી ગઈ હતી. આ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું. આ સિવાય મારા ગામમાં હું સખી મંડળમાં પણ સભ્ય હોય તેની પણ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મને અને મારા જેવી અનેક મહિલાઓને મળી રહ્યો છે.

હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત મોરબી તાલુકાના  બિલિયા ગામે આ યાત્રાનું આગમન થયું હતું અને ઘર આંગણે જ લાભાર્થીઓને તેમના લાભો મળી રહે તેવું આયોજન કરાયું છે ત્યારે અહીં યોજાયેલ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે કેન્સર જેવા જીવેલણ રોગમાં સારવાર મેળવવા માટે લાખો રૂપિયાની જરૂરીયાત પડતી હોય છે. આ બદલ આર્થિક સહાય પૂરી પાડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા લાભાર્થીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ અમારા જેવા મધ્યમ પરિવારોને આવશ્યક યોજનાઓનો લાભ આપી વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે.

વડાપ્રધાન દેશની જનતા માટે સતત મહેનત કરી જરૂરિયાતમંદ લોકો માટે યોજનાઓ અમલી બનાવી રહ્યા છે તો આપણા ઘરના આંગણે જ યોજનાઓની ગંગા વહી રહી છે તો કોઈ પણ  નાગરિકે પુણ્ય કમાવવાનો મોકો ચૂકવો જોઈએ નહી. એમ કહી લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.