મોરબીમાં વાસી ઉત્તરાયણ નિમિત્તે સોમવારે પણ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર

આ વખતે મકરસંક્રાંતિ રવિવારના રોજ આવે છે જ્યારે પાછળ સોમવાર એ ચાલું દિવસ છે. બાળકો ઉત્તરાયણના તહેવારને સારી રીતે મનાવી શકે તેવા આશયથી સોમવારના રોજ વાસી ઉત્તરાયણ નિમિત્તે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
મકરસંક્રાંતિ એ નાના મોટા સૌ માટે અગત્યનો અને ઉલ્લાસથી ઉજવવાનો તહેવાર છે.

બાળકોથી માંડીને મોટા સૌ મકરસંક્રાંતિની સાથે સાથે મકરસંક્રાંતિ પછીનો વાસી ઉતરાયણનો દિવસ પણ ઉમંગભેર ઉજવતા હોય છે. શિક્ષણની જેમ ઉત્સવોનું પણ જીવનમાં અનેરુ મહત્વ હોય છે. એ વાતને ધ્યાને રાખીને આ વખતે મકરસંક્રાંતિ રવિવારના દિવસે છે એન પછીનો સોમવારનો દિવસ ચાલુ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સારી રીતે તહેવારને માણી તેમજ ઉજવી શકે એવા શુભ આશયથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા દ્વારા તેમને ધી બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ-૧૯૪૯, નિયમ-૧૨૫(૪),(૫) અન્વયે મળેલ સત્તાની રૂએ તારીખ ૧૫ /૦૧/૨૦૨૪ને સોમવારના રોજ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં પરિપત્ર કરી રજા જાહેર કરેલ છે.