મોરબી જિલ્લાના ૪૮૩ નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના આધારસ્તંભ બની

માતા- પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની વ્હારે સંવેદનશીલ સરકાર; જિલ્લામાં બાળકોને મળી રૂ.૩૭.૫૬ કરોડ થી વધુની સહાય

             મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સામાજિક સર્વાંગી વિકાસની સાથોસાથ માનવ જીવનના ઉચ્ચતમ મૂલ્યોના વિકાસને પણ પ્રતિમ પ્રાધાન્ય અપાયું છે. સરકારે માત્ર છેવાડાના સામાન્ય વ્યક્તિ જ નહીં અસહાય વ્યક્તિઓ પણ સમાજમાં સ્વમાનથી સ્વાવલંબી જીવન જીવી શકે તેવા પ્રયાસો કર્યા છે.

         સરકાર દ્વારા નિરાધાર બાળકોના શૈક્ષણિકસામાજિક અને આર્થિક ઉત્કર્ષની ચિંતા કરીને પાલક માતા-પિતા યોજના અમલી બનાવી છે. મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ ફેબ્રુઆરી દરમિયાન રૂ.૩૭.૫૬ કરોડ થી વધુ સહાય આપવામાં આવી છે.પાલક માતા-પિતા યોજના અંતર્ગત નવી આવેલ કુલ ૪૫૭ અરજીઓને મંજુરી આપવામાં આવી છે.

          વાત કરીએ પાલક માતા-પિતા યોજનાના માપદંડ ની તો,જે બાળકના માતા-પિતા મૃત્યુ પામેલ હોય અથવા માતા અથવા પિતાના મૃત્યુ બાદ હયાત માતા અથવા પિતાએ બીજા લગ્ન કર્યા બાદ બાળકને તરછોડયું હોય અને બાળકની માવજત અન્ય કોઇ સગા સંબંધી દ્વારા કરવામાં આવતી હોય તો આવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

           વધુ વિગત આપતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો.વિપુલ શેરસીયાએ જણાવ્યું હતું કેઆ યોજના અંતર્ગત અભ્યાસ કરતાં બાળકો પૈકી બાળક ૧૮ વર્ષનું થાય ત્યા સુધી માસિક રૂ. ૩૦૦૦ ની સહાય આપવામાં આવે છે અને જો બાળક ૧૮ વર્ષ પહેલા ભણવાનું છોડે તો તેની સહાય બંધ કરવામાં આવે છે એટલે કે બાળકનો અભ્યાસ ચાલુ હોવો જરૂરી છે. પાલક માતા-પિતા યોજના અંતર્ગત મોરબી જિલ્લાંમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪  ફેબ્રુઆરી દરમિયાન રૂ.૩૭.૫૬ લાખ થી વધુ સહાય મળી છે અને નિરાધાર બાળકોની સંપૂર્ણ જવાબદારી સરકારની પાલક માતા-પિતા યોજના નિભાવે છે ત્યારે આ યોજનાનો લાભ તેમજ માહિતી મેળવવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમમોરબીનો સંપર્ક કરી શકાશે.

          જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અમલ કરાતી યોજના નિરાધાર,ગંભીર બીમારીથી પીડાતા એવા બાળકો બાળ સંભાળ ગૃહમાં ૧ મહિનાથી ૬ મહિના સુધી રહ્યા હોય અને ત્યારબાદ બાળ સંભાળગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે ત્યારે પ્રોત્સાહિત રકમ રૂપે રાજ્ય સરકાર દ્વારા ૦ થી ૧૮ વર્ષના બાળકોને  રૂ.૩૦૦૦ સહાય આપવામાં આવે છે. જ્યારે મોરબી જિલ્લામાં સ્ટેટ સ્પોન્સરશીપ સેન્ટર ના ૨૫ બાળકોને રૂ. ૩૦૦૦ની સહાય, કેન્દ્ર સ્પોન્સરશિપ સેન્ટરના ૬ બાળકોને રૂ.૪૦૦૦ ની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ ફેબ્રુઆરી સુધી રૂ.૫૭,૬૦૦૦ ની સહાય બાળકો માટે આશીર્વાદ રૂપ બની છે.

         કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતાના મૃત્યુ થયા હતા. માતા-પિતાના અવસાન થી આવા નિરાધાર થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. કોવીડ-૧૯ ની મહામારીમાં નિરાધાર થયેલ બાળકોને સહાય આપવા માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે. નિરાધાર બાળકને દર મહિને બાળક દીઠ રૂ.૪૦૦૦ ની સહાય આપવામાં આવે છે. જે બાળક ૨૧ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર છે.બાળક જે માસમાં અનાથ થયેલ હોય તે માસથી સહાય મળવાપાત્ર થશે. રાજ્ય સરકાર દ્વારા આફ્ટર કેર યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળે છે જ્યારે ૧ વાલીમાં બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી રૂ.૨૦૦૦ની સહાય સરકાર આપે છે.