મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ માટે ખાનગી સંસ્થાઓ અને દુકાનોના શ્રમિકોને ખાસ રજા આપવી પડશે

શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ એકમોએ કર્મચારીઓને મતદાન માટે ૩ કલાકની ખાસ રજા અથવા અવેજી રજા આપવાની રહેશે, રોજમદાર અને કેજ્યુઅલ કામદારોને પણ મતદાનની છૂટછાટનો લાભ મળશે: મદદનીશ શ્રમ આયુક્તની યાદી
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ લોકશાહીના પર્વમાં ખાનગી ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ અને કામદારો પણ પૂરતી સંખ્યામાં મતદાન કરી શકે તે માટે મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી, મોરબી દ્વારા મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસ) એક્ટ હેઠળ નોંધાયેલી તમામ સંસ્થાઓ અને દુકાનોના માલિકોએ તેમના કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. જે કર્મચારીઓની અઠવાડિક રજા રવિવારના દિવસે ન આવતી હોય, તેવા કિસ્સામાં સંસ્થાએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કર્મચારીને મતદાન માટે ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થા ચાલુ રાખી તેની અવેજીમાં મતદાનના દિવસે રજા આપવાની રહેશે. આ જોગવાઈઓ કાયમી કર્મચારીઓ ઉપરાંત રોજમદાર (કેજ્યુઅલ) કામદારોને પણ સમાન રીતે લાગુ પડશે.
જે કામદારોની ગેરહાજરીથી સંસ્થામાં કોઈ ભયજનક પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હોય અથવા જેમની ગેરહાજરીથી વ્યાપક નુકસાન થવાની સંભાવના હોય, તેવા કિસ્સાઓમાં આ છૂટછાટ લાગુ પડશે નહીં. મદદનીશ શ્રમ આયુક્ત કચેરી દ્વારા રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી શ્રમિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પૂરતો સહયોગ અને છૂટછાટ પૂરી પાડવા જિલ્લાના તમામ વેપારી મંડળો અને સંસ્થાના માલિકોને અનુરોધ કરવામાં આવ્યો  છે.

Leave a Comment