મોરબીમાં એકતાની શક્તિ સાથે ભક્તિના સમન્વયરૂપે આજે આરતી મહોત્સવનું આયોજન

વાલ્મીકિવાસ, વણકરવાસ, રબારીવાસ અને વજેપર સહિતના વિસ્તારોમાં શ્રદ્ધા, સંસ્કાર અને સંગઠનની શક્તિ સ્વરૂપે રામદેવપીર આરતી મહોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીમાં એકતાની શક્તિ સાથે ભક્તિના સમન્વયરૂપે આરતી મહોત્સવની અનોખી પહેલ કરવામાં આવી છે અને શહેરના વાલ્મીકિવાસ, વણકરવાસ, રબારીવાસ અને વજેપર સહિતના વિસ્તારોમાં રામદેવપીર મંદિર, વાલ્મીકિવાસ, સરકારી પ્રાથમિક શાળા ચોક, મોરબી ખાતે આજે તા.4/4/2026ને શનિવારે રાત્રે 8:00 વાગ્યાથી શ્રદ્ધા, સંસ્કાર અને સંગઠનની શક્તિ સ્વરૂપે રામદેવપીર આરતી મહોત્સવ ઉજવાશે

મોરબી શહેરના વાલ્મીકિવાસ, વણકરવાસ, રબારીવાસ અને વજેપર સહિતના વિસ્તારોમાં ધાર્મિક આસ્થા, સંસ્કાર અને સામૂહિક એકતાને મજબૂત બનાવવા માટે “શ્રી રામદેવપીર આરતી મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગને લઈ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રૂપે ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી પ્રતિભાશાળી અભિનેત્રી રોમા માણેક વિશેષ ઉપસ્થિત રહેશે, જે કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ભવ્યતા પ્રદાન કરશે.

કાર્યક્રમ દરમિયાન શ્રી રામદેવપીરજીની ભવ્ય આરતી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાશે. આ આયોજન અંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે,“શ્રી રામદેવપીર આરતી મહોત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમાજને એકતા, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાથી જોડતો પવિત્ર પ્રસંગ છે. વાલ્મીકિવાસ, વણકરવાસ, રબારીવાસ અને વજેપર જેવા વિસ્તારોમાં સામૂહિક રીતે આ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ભાઈચારો અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આવા ધાર્મિક કાર્યક્રમો યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાની સાથે જોડે છે અને સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રેરિત કરે છે.


Leave a Comment