સુર્યનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ 

વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોનું કરાયું સન્માન

વિશાલ જયસ્વાલ હળવદ : દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કુદરતી આપત્તિ બિપોરજોય વાવાઝોડાના કારણે શાળા પ્રવેશોત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓની તૈયારીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે અને ઉત્સાહ વધે તે માટે ગામલોકો તેમજ શાળાના શિક્ષકો દ્વારા સુર્યનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી.

તો સાથે જ સુર્યનગર પ્રાથમિક શાળા ગુણોત્સવ પ્રથમ ફેઈઝ 2022-23માં તાલુકામાં બીજા ક્રમે અને જિલ્લામાં પાંચમા ક્રમે તેમજ સતત બે વર્ષથી શાળા એ ગ્રેડ પ્રાપ્ત કરી રહી છે. તદઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવાતી સી.ઈ.ટી પરીક્ષામાં મોરબી જિલ્લામાં બીજા ક્રમે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પણ શાળાના વિદ્યાર્થી કણઝરીયા યશ મનસુખભાઈએ સારુ પરીણામ મેળવી સિલેક્શન થવા બદલ શાળાના વિદ્યાર્થીઓ તથા શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોનું શાળાના નિવૃત્ત આચાર્ય, સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસએમસીના સભ્યો અને શાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ તથા ગામલોકો હાજર રહ્યાં હતા.