પ્રદુષણ નિવારણ સાથે ઊર્જા સર્જન કરતી સરકારની ગોબરધન યોજના

“આ ગોબર ગેસ પ્લાન્ટથી મહિને બે બાટલા જેટલો ગેસ વિનામૂલ્યે જ મળી રહે છે.” -ફાતમાબેન ઈનુસભાઈ માથકિયા

દેશમાં વધતા જતા પ્રદુષણ નિવારણ સાથે ઊર્જા સર્જન કરતી એવી સરકારની સહાયક ગોબરધન યોજનાથી લોકોને માત્ર ઈંધણ જ નહિ પરંતુ ખેડૂતોને ખેત ઉત્પાદનમાં મદદરૂપ એવું  પોષક યુક્ત ખાતર પણ મળી રહે છે.

 આ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટમાં એક તરફથી છાણ નાખવામાં આવે છે. આ છાણમાં કુદરતી રીતે ગેસ ઉત્પન થાય છે. જેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યારે ગોબરગેસ પ્લાન્ટની બીજી તરફથી નીકળતા વેસ્ટનો ખાતર તરીકે ઉપયોગ કરી વેસ્ટ માંથી બેસ્ટનો આદર્શ રીતે ઉપયોગ કરી શકાય છે.

ગોબરધન યોજનાનો લાભ મેળવી વાંકાનેર તાલુકાના ગારીડા ગામના ફાતમાબેન ઈનુસભાઈ માથકિયા જણાવે છે કે, “આ ગોબરગેસ પ્લાન્ટ અમે છ મહિના પહેલા પ્રસ્થાપિત કર્યો હતો. આ બાયોગેસથી અમારે ખૂબ સારું છે. આ ગોબર ગેસ પ્લાન્ટથી મહિને બે બાટલા જેટલો ગેસ વિનામૂલ્યે જ મળી રહે છે. ઉપરાંત પ્લાન્ટમાંથી નીકળતા વેસ્ટનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ બાયોગેસના ઉપયોગથી રસોઈ પણ સ્વાદિષ્ટ  બને છે.

આ ગોબરધન યોજના અંતર્ગત અમે ૫ હજારનો ફાળો આપ્યો છે જ્યારે સરકાર દ્વારા ૧૨ હજારની સહાય ચુકવવામાં આવી છે. અમને પ્રજા હિતની આ ગોબરધન યોજનાનો લાભ આપવા માટે સરકારનો ખૂબ આભાર…”