મોરબીમાં વધુ એક ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરાયા

પોતાની ફરજ બજાવવામાં અસમર્થ સરપંચને હોદ્દા પરથી દુર કરતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા

મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ વરસડા સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં અસમર્થ હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

૧૫માં નાણાપંચ હેઠળ ગ્રામ્ય કક્ષાએ વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત કુલ ૧૧ કામો મંજુર થયેલ છે. તે પૈકી હાલ સુધીમાં ૩ કામો પૂર્ણ કરેલ છે. જયારે બાકીના ૮ કામો શરૂ કરવાના બાકી છે. તે કામો હજુ સુધી શરૂ કરેલ નથી. અણીયારી ગામે કુલ ૩ લાભાર્થીઓનાં ૧૦૦ ચો.વારનાં પ્લોટ મંજુર થયેલ છે. તેના લે-આઉટ પ્લાન મુજબ પ્લોટ નં.૨૫, ૩૧ તથા ૧૯ પર કોઈપણ જાતનું દબાણ થયેલ નથી. જે પ્લોટ ફાળવવા અંગે તલાટી કમ મંત્રીએ સનદ તૈયાર કરેલ હતી. તે સનદ પર સરપંચશ્રીએ સહી કરવા ના પાડેલ છે અને સરપંચ જુની દબાણવાળી જગ્યા પર દબાણ હટાવીને પ્લોટ ફાળવવાની માંગણી કરે છે.

હકીકતમાં દબાણવાળી જગ્યા ઉપરાંત બીજા અન્ય પ્લોટ ખુલ્લા છે તેમ છતાં તેઓ સનદ પર સહી કરવાની ના પાડે છે. આ પ્લોટ ઘણા સમયથી મંજુર થયેલ છે તેમ છતાં હજુ સુધી સનદ પર સહી નહિ કરીને PMAY યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીને યોજનાના લાભથી વંચિત રાખવાનો પ્રયત્ન કરેલ છે. આમ, સરપંચ સરકારશ્રીના અગત્યના કામો કરવામાં સહકાર આપતા નથી.

       આમ, તમામ બાબતોને મુદ્દાઓ ધ્યાને લેતા અણીયારી ગ્રામ પંચાયતના સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ વરસડા સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં અસમર્થ છે અને પોતાની ફરજો અને કાર્યો પ્રત્યે નિષ્ક્રીય છે. જેથી તમામ આધાર-પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દિગ્વિજયસિંહ ડી.જાડેજા (IAS), દ્વારા મોરબી તાલુકાના અણીયારી ગ્રામ પંચાયતના સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ વરસડાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી તેમણે ધારણ કરેલ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.