મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

ભારતના બંધારણને 26,મી નવેમ્બર-1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મોરબી અત્રેની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલના તમામ કેદીઓ સાથે બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી. શરૂઆતમાં કાર્યક્રમના મુખ્ય વક્તા દિનેશભાઈ ડી.વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડો.બી.આર.આંબેડકરની પ્રતિમા સમક્ષ દિપ પ્રજ્વલિત કરી સુતરની આંટી અને ફુલહાર પહેરાવીને ઉજવણીની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પી.એમ.ચાવડાએ વક્તાના અભિવાદન સાથે બંધારણ દિવસની શુભેચ્છા આપી હતી.

ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા બંધારણની સમજ આપતા જણાવ્યું કે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે નીતિ નિયમ કાયદાઓની જરૂર હોય છે,એમ આવડો મોટો દેશ ચલાવવા માટે કાયદાની જરૂર હોય છે, નીતિ નિયમોની જરૂર હોય છે,એ કાયદો એ નીતિ નિયમ એટલે આપણું બંધારણ.જુલાઈ-૧૯૪૬ માં બંધારણ સભાની રચના કરવામાં આવી.આ સભાની સભ્ય સંખ્યા ૩૮૯ હતી.સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે જુદી જુદી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી.

બંધારણ ઘડવા માટે ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો.બંધારણ ઘડવા માટે ૬૦ દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કુલ ૧૧ જેટલા અધિવેશન કરવામાં આવ્યા અને અંદાજે ૬૪ લાખ જેટલા ખર્ચ સાથે કુલ ૨૨ ભાગો,૮ અનુસૂચિ અને ૩૯૫ અનુચ્છેદ સાથેનું સર્વોત્તમ બંધારણ તૈયાર થયું અને ૨૬,મી નવેમ્બર ૧૯૪૯-ના રોજ બંધારણને સ્વીકૃતિ આપવામાં આવી અને ૨૬,મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો.

પાછળથી ઈ.સ.૧૯૭૬ માં સુધારા કરવામાં આવ્યા અને હાલ બંધારણમાં કુલ ૨૫ ભાગો,૧૨ અનુસૂચિ અને ૪૬૫ અનુચ્છેદ છે એવી માહિતી દિનેશભાઈ વડસોલાએ વિસ્તૃત રીતે આપી હતી તેમજ આમુખની વિસ્તૃત સમજ આપી આમુખનું વાંચન કરાવ્યું હતું અંતમાં ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાએ સૌના આભાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.